Chandrayaan 4

Chandrayaan 4: કેન્દ્રીય કેબિનેટ દ્વારા નવા ચંદ્ર મિશન ચંદ્રયાન-4ને મંજૂરી આપી, ગગનયાનના વિસ્તરણ અને શુક્ર ગ્રહ પર મિશન મોકલવાની યોજના

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બરઃ Chandrayaan 4: આજે બુધવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરવા માટે જરૂરી ટેક્નોલોજી વિકસાવવા અને દર્શાવવા માટેના નવા ચંદ્ર મિશન ચંદ્રયાન-4ને મંજૂરી આપી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ચંદ્રયાન-4 મિશનના વિસ્તરણની સાથે અન્ય ઘણાં નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જે ગગનયાનના વિસ્તરણ અને શુક્ર ગ્રહ પર મિશન મોકલવાની યોજના છે.’

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ચંદ્રયાન-4 મિશનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, તેનું આગામી પગલું ચંદ્ર પર માનવ મિશન મોકલવાનું છે. જેના પ્રારંભિક તબક્કાને લઈને મંજૂરી આપી દેવામાં આવી છે. વિનસ ઓર્બિટર મિશન, ગગનયાન ફોલો-ઓન અને ઇન્ડિયન સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન માટે લૉન્ચ વ્હીકલ ડેવલપમેન્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. ચંદ્રયાન-4 મિશન હેઠળ ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર લાવવામાં આવશે.’

આ પણ વાંચોઃ One Nation One Election: આખરે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી, વાંચો શું છે સંપૂર્ણ વિગત

આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, ‘ચંદ્રયાન-4 મિશન ભારતીય અવકાશયાત્રીઓને વર્ષ 2040 સુધીના આયોજન સાથે ચંદ્ર પર ઉતારવા અને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવા માટે જરૂરી ટેક્નોલોજી મેળશે. જેમાં ડોકિંગ/અનડોકિંગ, લેન્ડિંગ, પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવા અને ચંદ્રના નમૂનાના સંગ્રહ અને વિશ્લેષણને પૂર્ણ કરવા માટે જરૂરી ટેક્નોલોજીઓનું પ્રદર્શન કરવામાં આવશે.’

મળતી માહિતી પ્રમાણે, ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન મિશન ચંદ્રયાન-4 માટે કુલ ફંડની જરૂરિયાત રૂ.2,104.06 કરોડ છે. જેમાં અવકાશયાનના વિકાસ અને પ્રક્ષેપણની જવાબદારી ISROની રહેશે. ઉદ્યોગ અને શિક્ષણવિદોની ભાગીદારી સાથે આ મિશન મંજૂરીના 36 મહિના સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તમામ નિર્ણાયક ટેક્નોલોજીને સ્વદેશી રીતે વિકસાવવાની પરિકલ્પના કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather forecast: ગુજરાતમાં ફરી આ તારીખે પડી શકે છે ભારે વરસાદ, જાણો ક્યા ક્યા પડશે વરસાદ?

કેન્દ્રીય કેબિનેટે શુક્ર ગ્રહ પર વૈજ્ઞાનિક સંશોધન માટે અને શુક્રના વાતાવરણ, ભૂસ્તરશાસ્ત્રને વધુ સારી રીતે સમજવા અને તેના વાયુમંડળની તપાસ કરીને મોટી માત્રામાં વૈજ્ઞાનિક ડેટા મેળવવા માટે શુક્ર પરિક્રમા મિશનને (VOM) પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગ્રહનો અભ્યાસ કરવા 1236 કરોડના ભંડોળ ફાળવાશે, જેમાંથી 824 કરોડ રૂપિયા અંતરિક્ષ યાન પર ખર્ચ કરવામાં આવશે. વધુ માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેબિનેટે હેવી નેક્સ્ટ જનરેશન લૉન્ચ વ્હીકલને પૃથ્વીની નીચલી કક્ષામાં 30 ટનના પેલોડ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે.’