IPL 2025 Final

IPL 2025 Final: જો વરસાદના કારણે IPL ફાઈનલ રદ થાય તો કોને મળશે ટ્રોફી? વાંચો વિગત

સ્પોર્ટ્સ ડેસ્ક, 03 જૂન: IPL 2025 Final: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મંગળવારે આઈપીએલ 2025ની ફાઈનલ મેચ રમાશે. બંને ટીમો પહેલીવાર આ ખિતાબી મુકાબલામાં પહોંચી છે. આવામાં ફેન્સને એક નવી ટીમ વિજેતા તરીકે જોવા મળશે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર 2 મેચમાં વરસાદે વિધ્ન પાડ્યું હતું જેના કારણે મેચ બે કલાક 15 મિનિટ મોડી શરૂ થઈ હતી. હવે ફેન્સને એ ચિંતા છે કે જો ફાઈનલમાં પણ વરસાદ વિલન બનશે તો શું થશે.

આવામાં ફેન્સ જાણવા ઈચ્છે છે કે શું આઈપીએલ 2025ની ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે કે નહીં. જો રમત કોઈ કારણસર પૂરી ન થાય તો વિજેતી ટીમનો નિર્ણય કઈ રીતે થશે? આ મેચ વખતે વરસાદ પડે તેવી આશંકા સેવાઈ રહી છે. જો વરસાદ ફાઈનલમાં જોવા મળે તો રમત માટે બે કલાકનો વધારાનો સમય નિર્ધારિત છે. જો વરસાદ બે કલાકથી વધુ મેચનો સમય ખરાબ કરે તો ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવર રમાડવાની કોશિશ કરાશે. પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે રમાનારી આ ફાઈનલ મેચ માટે ‘રિઝર્વ ડે’ની પણ જોગવાઈ કરાયેલી છે.

આ પણ વાંચોઃ Rain Update: ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી, જાણો આગામી દિવસોમાં કયાં-કેવો રહેશે વરસાદ?

જો વરસાદના કારણે 3 જૂનના રોજ મેચ શરૂ ન થઈ શકે તો 4 જૂને રમાશે. જો વરસાદ કે અન્ય કોઈ કારણસર મેચ રદ થઈ જાય તો લીગના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેનારી પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરાશે. પંજાબ કિંગ્સે 14 મેચોમાંથી નવ મેચ જીતી છે અને +0.372 ના નેટ રનરેટ સાથે ટોપ પર રહી હતી. ટેબલમાં બીજા નંબરે રહેલી આરસીબીએ પણ આટલી જ મેચ જીતી છે પરંતુ નેટ રનરેટ (+0.301)માં તે પાછળ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આરસીબીએ પહેલી ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. 29મી મેના રોજ રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સ 14.1 ઓવરમાં માત્ર 101 રન કરીને આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં આરસીબીએ 10 ઓવરમાં જ આ જીત મેળવી હતી. આ મેચ ગુમાવ્યા બાદ પંજાબ પાસે વધુ એક તક હતી. ક્વોલિફાયર 2માં તેણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પાંચ વિકેટથી જીત મેળવી હતી.

એક્યુવેધરના જણાવ્યાં મુજબ મંગળવારે બપોરે અમદાવાદમાં વરસાદ પડવાની 66 ટકા શક્યતા છે. જેનાથી બંને ટીમો અને તેમના ફેન્સ માટે ફાઈનલને લઈને ચિંતા વધી છે. તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને ભેજનું સ્તર પણ વધુ રહેશે. જો કે સાંજ સુધીમાં હવામાન સુધરે તેવી શક્યતા છે અને વરસાદની સંભાવનાર પણ ઘટીને ફક્ત 5 ટકા રહેશે. આમ છતાં 33 ટકા વાદળો છવાયેલા રહેવાથી બંને ટીમો ચિંતિત રહી શકે છે. આ બધા વચ્ચે આઈપીએલ ફાઈનલની શરતો મુજબ રમતના સમયમાં એક વધારાનો કલાક, સમયને 120 મિનિટ સુધી વધારવાના, અને ફાઈનલમાં રિઝર્વ ડેની જોગવાઈ ફાઈનલને પૂરી કરવા માટેના ઉપાયો છે.

આ પણ વાંચોઃ NEET Exam Postponed: NBEMSનો નિર્ણય, NEET PG 2025ની પરીક્ષા સ્થગિત- જાણો શું છે કારણ?