ગાંધીનગર, 05 સપ્ટેમ્બરઃ TET-TAT Protest: ગત મહિને TAT અને TETના ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવતા સરકારે 24,700 જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી, જેમાં કોમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી ન હતી.
TAT હાયર સેકન્ડરીની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવાનું હતું, પરંતુ તે તારીખ મુજબ જાહેર ન થતાં ટેટ-ટાટના ઉમેદવારોએ શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 1 સપ્ટેમ્બરના રોજ 4000 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર થવાનું હતું, પરંતુ તે જાહેર ન થતાં શિક્ષક દિને જ ભાવિ શિક્ષકો મેદાને ઉતરી આવ્યા છે. આજે શિક્ષક દિને ટેટ-ટાટના ઉમેદવારો ગાંધીનગર મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા.
ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન માટે પહોંચેલા 25 જેટલા ઉમેદવારોની ગેટ નંબર 1 પાસેથી અટકાયત કરી લેવામાં આવી હતી, જ્યારે અન્ય ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા ચ 3 સર્કલ પાસે ભેગા થયા હતા અને રસ્તા રોકો આંદોલન શરુ કરી દીધું હતું. ભરતી કરવાની, ભરતીમાં બેઠકો વધારવાની, કોમ્પ્યુટર શિક્ષકની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

