નવી દિલ્હી, 11 ડિસેમ્બરઃ Indigo Crisis: છેલ્લા કેટલાક દિવસોથી પોતાની સેવાઓમાં વિક્ષેપ બદલ ઈન્ડિગોએ મુસાફરોની માફી માંગી છે અને વળતરના પગલાંની જાહેરાત કરી છે. એરલાઈને જણાવ્યું કે, રદ થયેલી તમામ ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે ટૂંક સમયમાં મુસાફરોના ખાતામાં જમા થઈ જશે. જે મુસાફરોએ ટ્રાવેલ પાર્ટનર દ્વારા બુકિંગ કરાવ્યું હોય, તેમને customer.experience@goindigo.in પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
આ ઉપરાંત, એરલાઈને જણાવ્યું છે કે 3, 4 અને 5 ડિસેમ્બરે મુસાફરી કરનારા કેટલાક મુસાફરોને ભારે ભીડને કારણે એરપોર્ટ પર કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું હતું. આવા “ગંભીર રીતે પ્રભાવિત” થયેલા મુસાફરોને, એરલાઈન આગામી 12 મહિનામાં ભવિષ્યની મુસાફરી માટે વાપરી શકાય તેવા ₹10,000ના ટ્રાવેલ વાઉચર ઓફર કરશે. ઈન્ડિગોએ સ્પષ્ટ કર્યું કે આ વળતર, સરકારના નિયમો મુજબ ડિપાર્ચર ટાઈમથી છેલ્લી 24 કલાકમાં ફ્લાઇટ રદ થવા પર મળતા ₹5,000 થી ₹10,000 ના વળતર ઉપરાંતનું છે.

ઈન્ડિગો એરલાઈનમાં ચાલી રહેલા ‘ઓપરેશનલ સંકટ’ને કારણે મુસાફરોને પડી રહેલી હાલાકી અને અન્ય એરલાઈન્સ દ્વારા વસૂલવામાં આવી રહેલા મનફાવે તેવા ઊંચા ભાડાને પગલે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા (ફેર કેપ) નક્કી કરી દીધી હતી.
આ પણ વાંચોઃ Aadhaar Verification: UIDAI એ નિયમો બદલ્યા, હવે આધાર કાર્ડ ઝેરોક્ષની જરૂર નહિ પડે – વાંચો વિગત

