Rain In Saurashtra 2025

Rain in Saurashtra: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જળબંબાકાર, 7 માછીમારો ગુમ, 18ને રેસ્ક્યુ કરાયા- વાંચો વિગત

અમદાવાદ, 20 ઓગષ્ટઃ Rain in Saurashtra: ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીકાર વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.75 ઇંચ તથા દ્વારકા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે પોરબંદર તાલુકામાં 4 ઇંચ જેટલો, માંગરોળ તાલુકામાં 3.74 ઇંચ, સૂત્રાપાડા તાલુકામાં 3.35 ઇંચ, જાફરાબાદ તાલુકામાં 3.07 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 5 ઇંચથી વધુ તથા કેશોદમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 4.76 ઇંચ તથા ગીર સોમનાથના તાલાલા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે. રાજ્યમાં હાલ 64 ડેમને હાઇ ઍલર્ટ, 29 ડેમને ઍલર્ટ તથા 21 ડેમને ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Lok sabha Bill: કેન્દ્ર સરકારે સંસદમાં 3 બિલ રજૂ કર્યા, પ્રિયંકા ગાંધી અને ઓવૈસીએ કર્યો વિરોધ- વાંચો વિગત

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે 20 ઑગસ્ટ, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69.92 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69.06 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

આ દરમિયાન હવામાન વિભાગની આગાહી બાદ અમરેલી જિલ્લાના જાફરાબાદ અને પીપાવાવ બંદરનો દરિયો તોફાની બન્યો છે. ભારે પવન અને કરંટને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના પરિણામે જાનહાનિનો ખતરો વધ્યો છે.

મળતી માહિતી મુજબ, જાફરાબાદની બે અને ગીર સોમનાથની એક બોટ દરિયામાં ડૂબી જતાં 7 જેટલા માછીમારો ગુમ થયા છે. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 18 માછીમારોને સુરક્ષિત બચાવી લેવાયા છે. જોકે, હજુ પણ 60 થી 70 જેટલી બોટ દરિયામાં હોવાથી માછીમારોની સલામતી અંગે ચિંતા વધી છે.

તંત્ર દ્વારા ગુમ થયેલા માછીમારોને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરિયાની વર્તમાન ખરાબ સ્થિતિને જોતા જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારો અને સ્થાનિકોને દરિયાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી અને અપડેટ્સ મેળવવા માટે તંત્ર સાથે સતત સંપર્કમાં રહેવું જરૂરી છે. આ ઘટના અંગેની વધુ વિગતો અને ગુમ થયેલા માછીમારો વિશેની માહિતી મેળવવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Student died: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીની હત્યા, પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમ યાત્રા- જાણો શું છે મામલો?