Silver Jewellery Hallmarking

Silver Jewellery Hallmarking: આજથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમમાં થયો મોટો બદલાવ

બિઝનેસ ડેસ્ક, 01 સપ્ટેમ્બરઃ Silver Jewellery Hallmarking: ભારતમાં હવે ચાંદીના ઘરેણાં માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી સરકારે ચાંદીના ઘરેણાં પર નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરી છે. તે હજુ સંપૂર્ણપણે ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકોની ઈચ્છા પર આધાર રાખે છે. એનો અર્થ એ કે, જો તમે ઈચ્છો તો હૉલમાર્કવાળી ચાંદી ખરીદી શકો છો, અથવા હૉલમાર્ક વિનાની પણ ખરીદી શકો છો. પરંતુ લાંબા ગાળે માત્ર હૉલમાર્કવાળા ઘરેણા જ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે. જો કે, ભારતમાં સોનાના ઘરેણાં પર હૉલમાર્કિંગ પહેલાથી જ ફરજિયાત છે.

હૉલમાર્કિંગ એટલે ધાતુની શુદ્ધતાની સત્તાવાર ગેરન્ટી. જ્યારે કોઈ ઘરેણાંના ટુકડા પર હૉલમાર્કનું નિશાન હોય છે, તો તેનો અર્થ એ થાય છે કે તેનું પરીક્ષણ ભારત સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. સોનાની જેમ હવે આ નિશાન ચાંદીના ઘરેણાં પર પણ જોવા મળશે. આનાથી ગ્રાહકો માટે ખરીદેલા ઘરેણાઅસલી છે કે ભેળસેળયુક્ત છે તે ઓળખવામાં સરળતા રહેશે.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ચાંદીની શુદ્ધતા માટે 6 નવા સ્ટાન્ડર્ડ્સ નક્કી કર્યા છે – 800, 835, 900, 925, 970 અને 990. આ સાથે જ હવે દરેક હોલમાર્કવાળા ઘરેણાંમાં 6-અંકનો HUID (હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર) હશે. આ યુનિક કોડ ગ્રાહકને તાત્કાલિક જાણકારી આપશે કે ઘરેણાં કેટલા શુદ્ધ છે અને ખાતરી કરશે કે તે અસલી છે. આ ફેરફાર જૂની હૉલમાર્કિંગ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખશે અને પારદર્શિતા વધારશે.

આ પણ વાંચોઃ SCO Summit: પીએમ મોદી ચીન ખાતે SCOમાં હાજરી આપી, આતંકવાદનો મુદ્દો પણ ઊઠાવ્યો

સરકારે વર્ષ 2021માં સોનાના ઘરેણાં પર હૉલમાર્કિંગ ફરજિયાત કર્યું હતું. હવે આ જ પેટર્ન પર ચાંદીના ઘરેણાં પર પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જોકે, તે હજુ પણ સ્વૈચ્છિક છે. ગ્રાહકો ઈચ્છે તો હૉલમાર્ક વિનાના ઘરેણાં પણ ખરીદી શકે છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જેમ-જેમ લોકોમાં જાગૃતિ વધશે તેમ-તેમ તેઓ માત્ર હૉલમાર્કવાળી ચાંદી પર જ વિશ્વાસ કરશે. આનાથી નકલી ઘરેણાંની સમસ્યા ઓછી થશે અને ગ્રાહકને યોગ્ય ઉત્પાદન મળશે.

હૉલમાર્કિંગથી શું ફાયદો:
સુરક્ષા અને વિશ્વાસ: ગ્રાહકો એ ખાતરી કરી શકશે કે તેમણે અસલી ચાંદી ખરીદી છે.
પારદર્શક બજાર: હૉલમાર્કિંગ કાળાબજાર અને ભેળસેળને રોકશે.
ઉદ્યોગ મજબૂત બનશે: સ્થાનિક ચાંદી ઉદ્યોગની વિશ્વસનીયતા વધશે અને તે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળ ખાશે.
રોકાણમાં લાભ: હૉલમાર્કવાળા ઘરેણાંની શુદ્ધતા સાબિત થઈ હોવાથી વેચાણ દરમિયાન સારી કિંમત પણ મળી શકે છે.

સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, નિયમોનો ભંગ કરનારને કડક સજા અને દંડ થશે. જો કોઈ ઝવેરી હૉલમાર્ક વિના ચાંદી વેચે છે, તો તેને દંડ કરવામાં આવશે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. આનાથી બજારમાં છેતરપિંડી કરનારા વેપારીઓ અટકશે અને પ્રામાણિક વેચાણકર્તાઓને ફાયદો થશે.

આ પણ વાંચોઃ Vote Chori: ગુજરાતમાં ‘વોટ ચોરી’નો આરોપ, કોગ્રેંસે આપ્યા પુરાવા- વાંચો વિગત