Sabarmati River Alert

Sabarmati River Alert: સુભાષબ્રિજ ખાતે નદીના જળ સ્તરને ધ્યાને રાખી આજે પણ સાબરમતી નદીને હાઇ ઍલર્ટ જાહેર

અમદાવાદ, 26 ઓગષ્ટઃ Sabarmati River Alert: ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી તેમજ હાલ સુભાષબ્રિજ ખાતે નદીના જળ સ્તરને ધ્યાને રાખી આજે પણ સાબરમતી નદીને હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.

સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવર ખાતે હેઠવાસમાં હાલ 96234 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Tarnetar Fair 2025: આવતીકાલથી વિશ્વ વિખ્યાત તરણેતરનો લોકમેળોનો શુભારંભ, આ કાર્યક્રમો યોજાશે- વાંચો સંપૂર્ણ વિગત

નદીની ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલ 94056 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેમાં ક્રમશઃ વધારો થઈ શકે છે. તેથી આ અંગે નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને ઍલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સંબંધિત અધિકારીઓને સલામતીના જરૂરી પગલાં લેવા સૂચવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઇંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદથી જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઇ ઍલર્ટ હેઠળ છે.

પાણીનું લેવલ વધતાં વોક વે પર પણ પાણી ફરી વળ્યા છે. આ સિવાય પાણીમાં રહેતાં અનેક સાપ પણ બહાર આવતાં જોવા મળી રહ્યા છે. પાણીમાં સાપ આવી જતાં લોકોના ટોળા તે જોવા માટે ઉમટી પડ્યા છે. જોકે, આ સાપો દ્વારા કોઈ જાનહાનિ ન સર્જાય તેના માટે ફોરેસ્ટ વિભાગના વોલેન્ટિઅર તૈનાત કરવામાં આવ્યા છે, જે આ સાપોની બચાવ કામગીરી કરે છે. આ રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 100 જેટલા સાપ પકડવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધી 250થી વધુ સાપ પાણીમાં દેખાયા હતા, જે વહેણ મારફતે સાબરમતી નદીમાં આવી ગયા હતા.

આ પણ વાંચોઃ Special trains: ભારતીય રેલ્વેનો મોટો રેકોર્ડ, ગણેશ ચતુર્થીના દિવસે દેશભરમાં ચલાવશે 380 ગણપતિ વિશેષ ટ્રેન- વાંચો વિગત