અમદાવાદ, 03 સપ્ટેમ્બરઃ Rules for Ration Distributor: ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે, રાજ્યમાં આશરે 700 જેટલી દુકાનો ભાડે ચાલતી હતી. આ જ કારણસર હવે દુકાનદારની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. આ નિર્ણયથી રાજ્યના 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટના રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે.
સસ્તા અનાજની દુકાનોને લઈને રાજ્ય સરકારને ઘણાં સમયથી ફરિયાદો મળી રહી હતી. આ પૈકી અનેક દુકાનો હંમેશા બંધ જ જોવા મળતી હતી. આ ઉપરાંત 700 જેટલી દુકાનો અન્યને ભાડે આપી દેવાઈ હતી. આ પ્રકારની ગેરરીતિઓ અટકાવવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
હવે રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ ધરાવનારો કોઈ દુકાનદાર અન્યને દુકાન ભાડે આપી શકશે નહીં. આ સાથે જ રાશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે. આ ઉપરાંત પોતાની ગેરહાજરીમાં અન્ય વિતરકને ચાર્જ સોંપીને અનાજ વિતરણ ફરજિયાત ચાલુ રાખવું પડશે.

