Putin India Visit

Putin India Visit: યુદ્ધ અપરાધના આરોપ છતાં પુતિન ભારત પ્રવાસે, જાણો શું છે કારણ?

નવી દિલ્હી, 04 ડિસેમ્બરઃ Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. યુક્રેનમાં થયેલા યુદ્ધ ગુનાઓના આરોપસર માર્ચ, 2023માં આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત(ICC- ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ) દ્વારા તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવા આવેલું છે, તેમ છતાં ભારતની મુલાકાત દરમિયાન પુતિનની ધરપકડ નહીં થઈ શકે. ચાલો, એનું કારણ જાણીએ.

17 માર્ચ, 2023ના રોજ ICC દ્વારા ‘રોમ સ્ટેચ્યુટ’ હેઠળ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના બાળ અધિકારો માટેના કમિશનર મારિયા લ્વોવા-બેલોવા સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. બંને પર યુક્રેનના કબજાવાળા પ્રદેશોમાંથી બાળકોને ગેરકાયદે સ્થાનાંતરિત કરવાના હુકમ આપવાના ગંભીર યુદ્ધ ગુનાના આરોપ લાગ્યા હતા. વિસ્થાપનનો ભોગ બનનાર બાળકોમાં અનાથાલયો અને સંભાળ ગૃહોના બાળકોનો પણ સમાવેશ થાય છે.

રશિયાએ ગુનો માન્ય ગણેલો?
રશિયાએ ICCના અધિકારક્ષેત્રને માન્યતા ન આપીને વોરંટને અમાન્ય ગણાવી દીધું હતું. એમના મતે પુતીને કોઈ યુદ્ધ ગુનો આચર્યો નથી.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વનડે સીરિઝની સતત બીજી મેચમાં સદી ફટકારી, સુનિલ ગાવસ્કરે કર્યા વખાણ

શું છે રોમ સ્ટેચ્યુટ?
‘રોમ સ્ટેચ્યુટ’ (રોમ કાયદો)એ આંતરરાષ્ટ્રીય સંધિ છે જેણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ(ICC)ની સ્થાપના કરી હતી. 1998માં અપનાવવામાં આવેલા અને 2002થી અમલમાં મુકાયેલા આ કાયદા હેઠળ નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધ ગુનાઓ અને આક્રમણના ગુનાઓ બાબતે ધરપકડ વોરંટ જારી કરવાની સત્તા ICCના અધિકારક્ષેત્રમાં આવે છે. દુનિયાના 125 દેશોએ આ સંધિ પર હસ્તાક્ષર કરીને રોમ સ્ટેચ્યુટનો સ્વીકાર કર્યો છે. હસ્તાક્ષરની પ્રક્રિયા ઇટાલીની રાજધાની રોમ શહેરમાં કરવામાં આવી હોવાથી એ રોમ સ્ટેચ્યુટ તરીકે ઓળખાયો.

ભારતમાં પુતિનની ધરપકડનું જોખમ શા માટે નથી?
ભારતમાં પુતિનની ધરપકડનું જોખમ એટલા માટે નથી કેમ કે ભારતે ICCના સ્થાપના દસ્તાવેજ ‘રોમ સ્ટેટ્યુટ’ પર ક્યારેય હસ્તાક્ષર કર્યા નથી અથવા તેને પ્રમાણિત કર્યો નથી. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ‘રોમ સ્ટેટ્યુટ’ સંધિ માત્ર તેના પક્ષકાર દેશોને જ લાગુ પડે છે. આથી, ICCને સહકાર આપવાની કોઈ ફરજ ભારત પર લાગુ થતી નથી. ભારતમાં પણ એવો કોઈ ઘરેલુ કાયદો નથી કે જે ICC વોરંટને ધરાર અમલમાં મૂકવાની તાકાત આપતો હોય.

ભારત ઉપરાંત કયા કયા દેશને ICCના આદેશનું બંધન નડતું નથી?
ભારત ઉપરાંત ચીન, રશિયા, ઇન્ડોનેશિયા, ઇરાક, લિબિયા, કતાર, યમન જેવા ઘણા દેશોએ આ સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા. અમેરિકાએ હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પછીથી તેણે હસ્તાક્ષર પાછા ખેંચી લીધા હતા. આ તમામ દેશ ICC સાથે સહયોગ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા નથી.

આ પણ વાંચોઃ Kutch Ranotsav 2025: CM ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025-26ની જાહેરાત, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી