Rajnath Singh

Operation Sindoor: રક્ષામંત્રીએ આપ્યું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂર યથાવત- વિપક્ષે પાર્ટીએ કહ્યુંઃ અમે સરકારની સાથે છીએ

નવી દિલ્હી, 08 મેઃ Operation Sindoor: ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી, બંને બાજુ અશાંતિ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પીએમ નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા, જ્યારે સરકારે સંસદ સંકુલમાં સર્વપક્ષીય બેઠક યોજી હતી અને ઓપરેશન વિશે માહિતી આપી હતી. આ સર્વપક્ષીય બેઠક લગભગ દોઢ કલાક ચાલી. વિપક્ષે આ કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ આ મુદ્દે સરકારની સાથે છે. દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ યથાવત હોવાનું નિવેદન આપ્યું છે.

સર્વપક્ષીય બેઠક દરમિયાન, વિપક્ષી પક્ષોએ સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે વિપક્ષને જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. બુધવારે, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવેલા ઓપરેશન વિશે માહિતી આપવા માટે ગુરુવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ X પર આ બેઠક વિશે માહિતી આપી.

આ પણ વાંચોઃ India Pakistan War: પાકિસ્તાનમાં રહેલી ચીનની HQ-9 મિસાઇલ સિસ્ટમને થયુ ભારે નુકસાન, જાણો શું થશે તેની અસર

અમે બધા સરકાર સાથે છીએ: ખડગે
સર્વપક્ષીય બેઠક પછી, કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “બેઠકમાં, અમે તેમનું (કેન્દ્રનું) કહેવું સાંભળ્યું. તેમણે એમ પણ કહ્યું કે કેટલીક ગુપ્ત માહિતી બહાર શેર કરી શકાતી નથી. અમે તેમને કહ્યું કે અમે બધા સરકાર સાથે છીએ.”

બેઠક બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “અમે સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે. જેમ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, તેમણે (સરકારે) કહ્યું કે કેટલીક બાબતો એવી છે જેના પર અમે ચર્ચા કરવા માંગતા નથી.”

ટીઆરએફ વિરુદ્ધ ઝુંબેશ શરૂ થવી જોઈએ: ઓવૈસી
AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ બેઠક બાદ કહ્યું, “મેં ઓપરેશન સિંદૂર માટે આપણા સશસ્ત્ર દળો અને સરકારની પ્રશંસા કરી છે. મેં એવું પણ સૂચન કર્યું કે આપણે રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સામે વૈશ્વિક ઝુંબેશ શરૂ કરવી જોઈએ.”

તેમણે વધુમાં કહ્યું, “મેં એવું પણ સૂચન કર્યું હતું કે સરકારે અમેરિકાને તેને (TRF) આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરવા વિનંતી કરવી જોઈએ. આપણે FATFમાં પાકિસ્તાનને ગ્રે-લિસ્ટ કરવા માટે પણ પ્રયાસો કરવા જોઈએ.”

બેઠકમાં કોણે હાજરી આપી
દિલ્હીમાં સંસદ પરિસરમાં સંસદ પુસ્તકાલય ભવનમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કર્યું હતું. સરકાર તરફથી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને કિરેન રિજિજુ ઉપરાંત, વિદેશમંત્રી એસ જયશંકર, આરોગ્યમંત્રી જેપી નડ્ડા, નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

જ્યારે વિપક્ષ તરફથી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત, મલ્લિકાર્જુન ખડગે, સુપ્રિયા સુલે અને સંજય રાઉતે ભાગ લીધો હતો. આ ઉપરાંત પ્રફુલ પટેલ, સંબિત પાત્રા, સંજય સિંહ, સંજય ઝા, પ્રેમચંદ ગુપ્તા, જોન બ્રિટાસે પણ ભાગ લીધો હતો.

સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપવા અંગે AAP સાંસદ સંજય સિંહે કહ્યું, “સર્વપક્ષીય બેઠકમાં વિવિધ પક્ષોના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ કાર્યવાહી વિશે આપવામાં આવેલી માહિતી અમે બેઠકમાં મેળવીશું. પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો સામે એક થઈને લડવાનો આ સમય છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ જે રીતે કર્યો છે તેનાથી આખો દેશ ખુશ છે.”

આ પણ વાંચોઃ Operation Sindoor: પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર એરસ્ટ્રાઇક, 25 જ મિનિટમાં ‘આતંકવાદની ફેક્ટરી’ નષ્ટ- વાંચો સંપૂર્ણ વિગત