ખેડૂતોનો સંદેશ:
“યોગ્ય વળતર વિના જમીન નહીં – બજારભાવ મુજબનો ન્યાય જ જોઈએ.”
અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ Gujarat Farmer: મહેસાણા જિલ્લો સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જમીન સંપાદન પ્રક્રિયા અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયસંગત વળતર ન મળવાના મુદ્દે ગંભીર અસંતોષ વ્યાપી રહ્યો છે. હાલ આપવામાં આવતું વળતર બજારભાવ કરતાં અત્યંત ઓછું હોવાથી ખેડૂતો લાંબા સમયથી ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે.
આ મુદ્દે તા. 11 સપ્ટેમ્બર 2025ના રોજ હજારો પીડિત ખેડૂતો, ખેડૂત આગેવાન અમરાભાઈ આર. ચૌધરીના નેતૃત્વ હેઠળ મહેસાણા કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર અર્પણ કરશે.
ખેડૂતોની મુખ્ય માગણીઓ:
1. જમીન સંપાદિત થતા અસરગ્રસ્ત ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
2. પાઇપલાઇન, રેલવે, જેટકો તેમજ ભારતમાલા માર્ગ જેવા પ્રોજેક્ટોમાં બજારભાવ મુજબ વળતર નક્કી કરવામાં આવે.
3. અનુગ્રહ ચુકવણીમાં જોવા મળતી અસમાનતા દૂર કરી તમામ ખેડૂતોને સમાન ધોરણે ન્યાય આપવામાં આવે.

4. ઓએનજીસી જે ૩૬ રૂપિયા ૪૦ પૈસા ભાડું આપે છે તે શોષણ કારી છે તો ટેલિકોમ ટાવર જેટલું ૩૬૧ રૂપિયા ભાડું આપવામાં આવે અને પાઇપલાઇન વાળી જમીનનું પણ ભાડું આપવામાં આવે.
5. થરાદ–અમદાવાદ ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને ફક્ત ₹20 પ્રતિ ચોરસ મીટર દરે ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે કેટલાક પ્રભાવશાળી લોકોએ એ જ જમીન બિનખેતી કરાવી ખરીદી કરીને ₹4500 પ્રતિ ચોરસ મીટર દરે વળતર મેળવ્યું છે. આવી વિસંગતિ તાત્કાલિક દૂર કરી ખેડૂતોને પણ સમાન વળતર આપવામાં આવે.
6. જમીન સંપાદન અધિનિયમ, 2013 મુજબ તમામ ખેડૂતોને કાયદેસર હકનું ન્યાયસંગત વળતર આપવામાં આવે.
ખેડૂતોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે જો યોગ્ય અને તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો તેઓ મોટાપાયે આંદોલન કરશે જરૂર જણાશે તો કોર્ટનો સહારો લેવા માટે મજબૂર બનશે.
આ પણ વાંચોઃ The Gujarat Clinical Establishment: રજીસ્ટ્રેશન વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને રુ. 5 લાખ સુધીના થશે દંડ

