નવી દિલ્હી, 06 મેઃ Cashless Treatment Scheme: કેન્દ્ર સરકારે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર શરૂ કરી છે. માર્ગ પરિવહન મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, આ યોજના હેઠળ, પીડિત અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ માન્ય હોસ્પિટલમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકે છે. આ યોજના પાંચમી મે 2025થી અમલમાં આવી છે.
Govt notifies cashless treatment scheme for road accident victims nationwide: Official order
— Press Trust of India (@PTI_News) May 6, 2025
કેન્દ્ર સરકારની નોટિફિકેશન અનુસાર, માર્ગ અકસ્માતનો ભોગ બનેલાને તાત્કાલિક ધોરણે મફત સારવાર પ્રદાન કરવાના હેતુ સાથે કેશલેસ સેવા શરૂ કરવામાં આવી છે. આ યોજનાની જાહેરાત જાન્યુઆરી, 2025માં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. જેનો અમલ ગઈકાલે 5 મેથી શરૂ થયો છે. આ યોજના માટે નેશનલ હેલ્થ એસોસિએશન કેન્દ્રીય અમલીકરણ એજન્સી તરીકે કામ કરશે. તે રાજ્યની પોલીસ, હોસ્પિટલ્સ અને રાજ્યની સ્વાસ્થ્ય એજન્સીઓ સાથે મળીને કામ કરશે. નોંધનીય છે, ભારતમાં માર્ગ અકસ્માતમાં દરવર્ષે લગભગ 5 લાખ લોકોના મોત થાય છે. દરવર્ષે આશરે ચાર લાખ લોકો ગંભીર રૂપે ઘાયલ પણ થાય છે. જેમાં સૌથી વધુ નુકસાન ટુ-વ્હિલર્સ અને પગપાળા ચાલનારા લોકોને થાય છે.
કેશલેસ ટ્રિટમેન્ટ યોજના હેઠળ નિયુક્ત કરાયેલી હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર મફત મળશે. જ્યારે પસંદગી ન થઈ હોય તેવી હોસ્પિટલમાં ગાઈડલાઈન્સ અનુસાર, સ્ટેબિલાઈઝેશન કૅર (માત્ર અમુક સારવાર) મળશે. આ જોગવાઈ હેઠળ ગંભીર રીતે ઘાયલ પીડિતને યોગ્ય સારવાર હેઠળ ખસેડવામાં ન આવે ત્યાં સુધી સારવાર આપવામાં આવશે.

