અમદાવાદ, 19 મેઃ Dahod mnrega scam: દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવતા પોલીસ અને તપાસ એજન્સીઓએ પગલાં તીવ્ર કર્યા છે. તાજેતરમાં પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે કિરણ ખાબડએ વિવિધ યોજનાઓ હેઠળ નકલી કામકાજ બતાવી અંદાજે પાંચ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હતો.
પોલીસે આ કેસમાં અન્ય બે અધિકારીઓ–એપીઓ દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાને પણ કસ્ટડીમાં લીધો છે. આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસથી વધુ કન્સ્ટ્રક્શન એજન્સીઓના નામો સામે આવ્યા છે. એજન્સીઓએ મિલીભગત કરીને કુલ ત્રીયોતેર કરોડથી વધુનો નાણાકીય ભ્રષ્ટાચાર આચર્યાની આશંકા છે.
બળવંત ખાબડની કંપની શ્રી રાજ કન્સ્ટ્રક્શન દ્વારા કામ કર્યા વગર જ બે ખાતામાંથી 82 લાખથી વધુ રકમ ઉપાડવાના કેસમાં પણ અનેક દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે. કિરણ ખાબડની પ્રવૃત્તિઓ અંગે પણ નકલી બિલ્સ, બોગસ મેપિંગ અને ફેક ઓર્ડર્સ દ્વારા નાણાં ઉપાડ્યાના આક્ષેપો છે.
સ્થાનિક સ્તરે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો જિલ્લા પંચાયત અને DRD કચેરીના ઉચ્ચ અધિકારીઓની સહમતિ વગર, તો આટલુ મોટુ કૌભાંડ શક્ય જ નથી. લોકો આ મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસ અને અન્ય મોટા નામો સામે પણ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
પોલીસ અને એનફોર્સમેન્ટ એજન્સીઓ હાલમાં તમામ લેનદેન, ખાતાઓ અને ટેન્ડર સંબંધિત દસ્તાવેજોની છણાવટ કરી રહી છે. રાજ્ય સરકારે પણ સમગ્ર મામલે ગંભીરતા દાખવી છે અને શક્ય છે કે આવનારા દિવસોમાં વધુ મોટાં ખુલાસાઓ થાય.
તો બીજી તરફ વિપક્ષે સરકારને ઘેરી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મનરેગા કૌભાંડની તપાસ માટે SIT તપાસની માગણી કરી છે. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પ્રધાનના પુત્રની જ કૌભાંડમાં સંડોવણી સામે આવી છે. ત્યારે વાડ જ ચિભડા ગળે તેવી સ્થિતિ છે. સ્થળ પર કામ કર્યા વગર બારોબાર બિલની ચુકવણી થયાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છેે.

