અમદાવાદ, 17 મેઃ MGNREGA Scam: દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડમાં 71 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ થયેલી હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કામો કર્યા વગર બિલ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં 35 થી વધુ એજન્સીઓ સામેલ હોવાની આશંકા છે.
તપાસમાં ખુલાસો થયો છે કે બળવંત ખાબડ અને તેના ભાઈ કિરણ ખાબડ એક એજન્સીમાં ભાગીદાર હતા. હાલ કિરણ ખાબડ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ ત્રણેયની પૂછપરછ કરીને કૌભાંડમાં સામેલ અન્ય વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ કૌભાંડમાં 72 કરોડ રૂપિયાની ચુકવણીને લઈને શંકા છે.
આ પણ વાંચોઃ New IPL 2025 Schedule: આઇપીએલ 2025 નો નવો શેડ્યૂલ જાહેર, 6 મેદાનોમાં રમાશે 17 મેચ- વાંચો વિગત
દાહોદ મનરેગા યોજનામાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચાર સંદર્ભે પ્રતિક્રિયા.. #dahod #scam #ManregaScam pic.twitter.com/102OjXRF1v
— Amit Chavda (@AmitChavdaINC) May 17, 2025
કોંગ્રેસે આ કૌભાંડ અંગે ગુજરાત વિજીલન્સ કમિશનમાં પહેલાં જ ફરિયાદ કરી હતી. કોંગ્રેસના નેતા હેમાંગ રાવળે આરોપ લગાવ્યો છે કે, બચુ ખાબડના પુત્રો દ્વારા ચલાવવામાં આવતી રાજશ્રી નામની એજન્સીએ અનેક કૌભાંડો આચર્યા છે. તેમણે ઉદાહરણ તરીકે 300થી વધુ ચેકડેમ બનાવ્યા હોવાનો દાવો કરીને 16 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. આ ઘટનાથી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. પરંતુ સરકારે આ ધરપકડ દ્વારા પોતાનો સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, ભ્રષ્ટાચારમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ 36 Cows Die:ડિસા ખાતે ઝેરી ઘાસ ખાતાં 36 ગાયના મોત નિપજ્યા, બફારાના કારણે ઘાસચારો ઝેર થઇ ગયો- વાંચો વિગત

