Nitin Gadkari

Nitin Gadkari: સતત વધતા રોડ અકસ્માતને લઇ નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- મૂળરૂપે એન્જિનિયર જવાબદાર! વાંચો વિગત

નવી દિલ્હી, 07 માર્ચઃ Nitin Gadkari: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન, સભાને સંબોધિત કરતી વખતે, નીતિન ગડકરીએ ફરી એકવાર માર્ગ અકસ્માતોનો ઉલ્લેખ કર્યો. આ અંગે વાત કરતાં તેમણે કહ્યું, ‘આ આપણા માટે સારું નથી કે ભારતમાં આપણે માર્ગ અકસ્માતો સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. દર વર્ષે આપણી પાસે 4,80,000 માર્ગ અકસ્માતો અને 1,80,000 મૃત્યુ થાય છે, જે કદાચ વિશ્વમાં સૌથી વધુ છે. આમાંના 66.4% મૃત્યુ 18થી 45 વર્ષની વય જૂથના લોકોના છે અને આના કારણે GDPને નુકસાન થાય છે. GDPમાં 3%નો ઘટાડો થાય છે.’

નીતિન ગડકરીએ કહ્યું, ‘ડૉક્ટરો, એન્જિનિયરો અને સૌથી અગત્યનું, પ્રતિભાશાળી યુવાનોની ખોટ ખરેખર આપણા દેશ માટે એક મોટી ખોટ છે. આ તમામ દુર્ઘટનાઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ દોષી સિવિલ એન્જિનિયર છે. હું દરેકને દોષ નથી આપતો, પરંતુ 10 વર્ષના અનુભવ પછી, હું આ નિષ્કર્ષ પર આવ્યો છું કે સૌથી વધુ ગુનેગાર તે લોકો છે જેઓ ડીપીઆર (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવે છે, તેમાં જ હજારો ખામીઓ હોય છે, હજારો પ્રોજેક્ટમાં ભૂલ થઇ રહી છે.’


આ પણ વાંચોઃ UPI New Rule: UPI યુઝર્સ સર્વિસ બંધ ના કરવી હોય તો જાણી લો જાહેર થયેલા નવા નિયમો, સાથે અમલ કરવાની છેલ્લી તારીખ

ગ્લોબલ રોડ ઇન્ફ્રાટેક સમિટ એન્ડ એક્સ્પો(GRIS)ને સંબોધતા કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું કે, ‘માર્ગ સલામતીના પગલાં સુધારવાની તાતી જરૂર છે. દેશમાં મોટાભાગના માર્ગ અકસ્માતો લોકોની નાની નાની ભૂલો અને ખામીયુક્ત ડીપીઆરને કારણે થાય છે અને તેના માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવતું નથી.’

હંમેશા સ્પષ્ટ વાત કરવા માટે જાણીતા નીતિન ગડકરીએ માર્ગ બાંધકામ ઉદ્યોગને નવી ટેકનીકો અને રિસાયકલ કરી શકાય તેવી બાંધકામ સામગ્રી અપનાવીને માર્ગ સલામતી વધારવા માટેની વ્યૂહરચના વિકસાવવા કહ્યું હતું.

આ મામલે કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘ભારતમાં રસ્તાઓ પર સાઇનપોસ્ટ અને માર્કિંગ સિસ્ટમ જેવી નાની વસ્તુઓ પણ ખૂબ જ ખરાબ છે. આપણે સ્પેન, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશો પાસેથી શીખવાની જરૂર છે. ભારતમાં સૌથી ખરાબ ગુણવત્તાવાળા ડીપીઆર બનાવવામાં આવે છે. મને લાગે છે કે માર્ગ અકસ્માતમાં વધારા માટે મૂળભૂત રીતે એન્જિનિયરો જવાબદાર છે. તેથી, મુખ્ય સમસ્યા રોડ એન્જિનિયરિંગ અને ખામીયુક્ત આયોજન અને ખામીયુક્ત ડીપીઆર છે.’

આ પણ વાંચોઃ Lakhhpati didi Samelan: ગુજરાતમાં ‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ યોજનાનું થશે લોન્ચિંગ; જાણો કઇ રીતે મેળવી શકશો લાભ ?