અમદાવાદ, 28 જાન્યુઆરીઃ Gujarat Weather: આજે સાબરકાંઠાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ ગુજરાતમાં બે દિવસ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ મીડિયા સાથે વાત ચીતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. જોકે, માવઠાની આગાહીઓ વચ્ચે ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગે આજે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં બે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહી આપી છે. બીજી તારીખે અને રવિવારે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સોમવારે ત્રીજી તારીખે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, કેશોદમાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે બાદ નલિયામાં 14, રાજકોટમાં 14.2, ડીસામાં 14.4, ગાંધીનગરમાં 14.6, વડોદરામાં 15.8, અમદાવાદમાં 16.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે સુરતમાં 16.8 ડિગ્રી અને દમણમાં 16.4 ડિગ્રી નોંધાયું છે.
માવઠાની આગાહી વચ્ચે સાબરકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અહીં ચોમાસા જેવા વાદળો ઘેરાયા છે. જેના પગલે ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ છે. જીરુ, વરિયાળી સહિત શાકભાજીના પાકોને નુકસાન થઈ શકે છે. જો વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થાય તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચોઃ Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ અને CM યોગીએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી, જુઓ ફોટોઝ

