INS Tushil

INS Tushil: રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધ બાદ પણ બંને દેશોએ મળીને ભારતીય નેવી માટે એક જંગી જહાજ બનાવ્યું- વાંચો વિગત

નવી દિલ્હી, 10 ડિસેમ્બરઃ INS Tushil: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુધ્ધ ચાલી રહ્યુ છે. બંને દેશો તરફથી એકબીજા પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. જો કે આ દરમિયાન બંને દેશ ભારતીય નેવીના એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ માટે સાથે આવ્યા છે. બંને દેશોએ સાથે મળીને ભારતીય નેવી માટે એક જંગી જહાજ બનાવ્યુ છે, જે સોમવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને સોંપવામાં આવ્યું હતું.

ભારતે વર્ષ 2016માં રશિયા સાથે બે યુધ્ધ જહાજ માટે કરાર કર્યા હતા. ફ્રિગેટ INS તુશીલ તેમાથી એક છે. INS તુશીલ ક્રિવાક III-ક્લાસ ફ્રિગેટ, જે આધુનિક સ્ટીલ્થ મિસાઈલ ફ્રિગેટ છે. ભારત પાસે હાલમાં આવા 6 યુદ્ધ જહાજો છે અને તે બધા રશિયામાં બનાવવામાં આવ્યા છે.

INS તુશીલ એ ક્રિવાક III વર્ગનું ફ્રિગેટ છે, જે અદ્યતન મિસાઇલોથી સજ્જ છે. રશિયામાં બનાવવામાં આવી રહેલા બે યુદ્ધ જહાજો ઉપરાંત ભારતમાં વધુ બે જહાજ બનાવવામાં આવી રહ્યા છે. આ ગોવા શિપયાર્ડમાં બને તેવી શક્યતા છે.

આ યુદ્ધ જહાજોમાં ઉપયોગમાં લેવાતા પ્રાથમિક એન્જિન યુક્રેનમાં બનેલા છે. ભારતીય નેવીના કાફલામાં મોટાભાગના જહાજો ગેસ ટર્બાઇન એન્જિનનો ઉપયોગ કરે છે, જે યુક્રેનિયન કંપની ઝોરિયા-માશપ્રોક્ટ દ્વારા બનાવે છે. આ કંપની મરીન ગેસ ટર્બાઈનના ઉત્પાદનમાં વિશ્વની ટોચની કંપનીમાં સ્થાન ધરાવે છે.

આ પણ વાંચોઃ Ahmedabad New Flights: સફર બનશે વધુ સરળ, અમદાવાદથી ચાર શહેર માટે સીધી ફ્લાઇટ શરૂ – વાંચો સમય સાથે અન્ય વિગત

આ ઓર્ડરની સૌથી મહત્ત્વની વાત એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હોવા છતાં ભારતને આ જહાજ મળ્યું છે. તેમજ આ ઓર્ડરને પૂર્ણ કરવામાં ભારતે પણ પડકારનો સામનો કર્યો છે. જે માટે ભારતે પોતે યુક્રેન પાસેથી એન્જિન લઈને પહોંચાડવું પડ્યું હતું, જેથી જહાજ તૈયાર થઈ શકે. આવી સ્થિતિમાં જહાજની ડિલિવરીમાં ઘણો સમય પસાર થયો છે.

INS તુશીલ એ પ્રોજેક્ટ 1135.6 નું અપગ્રેડેડ ક્રિવાક III વર્ગનું ફ્રિગેટ છે. આમાંથી 6 જહાજ પહેલેથી જ સેવામાં છે, જેમાં બાલ્ટિસ્કી શિપયાર્ડ, સેન્ટ પીટર્સબર્ગ ખાતે બાંધવામાં આવેલા ત્રણ તલવાર-વર્ગના જહાજો અને યાનતાર શિપયાર્ડ, કેલિનિનગ્રાડ ખાતે બાંધવામાં આવેલા ત્રણ ફોલો-ઓન ટેગ-ક્લાસ જહાજોનો સમાવેશ થાય છે. INS તુશીલ શ્રેણીમાં સાતમું અને બે એડવાન્સ એડિશનલ ફોલો-ઓન જહાજોમાંથી પ્રથમ છે. આ માટે ઓક્ટોબર 2016માં JSC Rosoboronexport, ભારતીય નૌકાદળ અને ભારત સરકાર વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો.

આ યુદ્ધ જહાજની લંબાઈ 409.5 ફૂટ, બીમ 49.10 ફૂટ અને ડ્રાફ્ટ 13.9 ફૂટ છે. તે દરિયામાં 59 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તે 18 અધિકારીઓ સહિત 180 સૈનિકોને લઈને 30 દિવસ સુધી દરિયામાં રહી શકે છે. INS તુશીલ ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે. તે 4 KT-216 ડેકોય લોન્ચર્સથી સજ્જ છે. તેમાં 100 mm A-190E નેવલ ગન પણ લગાવવામાં આવી છે. આ સિવાય તે એક 76 એમએમ ઓટો મેલારા નેવલ ગન અને 2 એકે-630 સીઆઈડબલ્યુએસ અને 2 કશ્તાન સીઆઈડબલ્યુએસ ગનથી સજ્જ છે.

આ પણ વાંચોઃ Farmer Protest: ખેડૂત આંદોલન વચ્ચે સંસદમાં કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત, સાથે વિપક્ષ પર કર્યા પ્રહાર- વાંચો વિગત