અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ Balaji’s Prasad Controversy: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં લાડુ બનાવવા માટે અમૂલ ડેરીના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેને લઇને અમૂલ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે અમે (અમૂલે) ક્યારેય તિરુપતિ બાલાજી મંદિરમાં ઘી આપ્યું નથી. ત્યારબાદ હવે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વિવિધ ટ્વિટર (એક્સ આઇડી) પરથી તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશમાં લાડુ બનાવવા માટે વપરાયેલા એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોય તે પ્રકારની ટ્વિટ કરવામાં આવતાં અમૂલ દ્વારા આઇટી ઍક્ટ અંતગર્ત અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
Issued in Public Interest by Amul pic.twitter.com/j7uobwDtJI
— Amul.coop (@Amul_Coop) September 20, 2024
જેમાં અમૂલે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર અલગ-અલગ ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશમાં લાડુ બનાવવા માટે વપરાયેલા એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોય તે પ્રકારની ટ્વિટ કરવામાં આવી છે. અમૂલ સહકારી સંસ્થાને નુકસાન પહોંચાડવા અને તેની છબી ખરાબ રીતે ખરડાય તે માટે ખોટી અફવા ફેલાવી છે. જેથી આ ટ્વિટર એકાઉન્ટ્સની પોલીસ તપાસ કરવામાં આવે અને તેમના વિરૂદ્ધ તપાસ કરવામાં આવે.
અમૂલ દ્વારા ખુલાસો કરીને જણાવવામાં આવ્યું હતું કે તેમનું ઘી આઇએસઓ પ્રમાણિત ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધમાંથી બનાવવામાં આવે છે. અમે ક્યારેય તિરુપતિ બાલાજી મંદિરમાં ઘી આપ્યું નથી. અમૂલને બદનામ કરવા અને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.

