Accident

Arunachal Accident: અરુણાચલ પ્રદેશમાં ખતરનાક પર્વતીય વળાંક પર અકસ્માત, 17ના મોતની આશંકા

નવી દિલ્હી, 11 ડિસેમ્બરઃ Arunachal Accident: અરુણાચલ પ્રદેશના અંજા જિલ્લામાં ભારત-ચીન સરહદ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શ્રમિકોને લઈ જતી એક ટ્રક કાબૂ ગુમાવી દેતાં હાયુલિયાંગ-ચગલાગામ સરહદી માર્ગ પરની ખીણમાં ખાબકી હતી. આ ટ્રકમાં 21 શ્રમિકો સવાર હતા, અને પ્રાથમિક અહેવાલો અનુસાર, 17 લોકોના કરુણ મોત થયાની આશંકા છે.

અહેવાલો અનુસાર, અંજા જિલ્લાના ડેપ્યુટી કમિશનર (DC) મિલો કોજિને આ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, ‘આ અકસ્માત ખૂબ જ ખતરનાક પર્વતીય વળાંક પર થયો હતો. રસ્તો અત્યંત સાંકડો અને ઘણાં ભાગોમાં ઢાળવાળો છે. આ શ્રમિકો ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા રોડ બાંધકામ સ્થળ તરફ જઈ રહ્યા હતા.’ અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલી આપી હતી.

આ પણ વાંચોઃ Indigo Crisis: દિલ્હી હાઈકોર્ટની ફટકાર બાદ, ઈન્ડિગોએ મુસાફરો માટે કરી વળતરની જાહેરાત- વાંચો વિગત

અકસ્માત બાદ, નજીકના ગ્રામજનો સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા અને મદદ શરૂ કરી. ત્યારબાદ પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર, આપત્તિ વ્યવસ્થાપન દળો અને સેનાની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ. આ વિસ્તાર તેની મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ માટે જાણીતો છે. શ્રમિકો ખીણમાં ફસાયેલા હોવાથી તેમના સુધી પહોંચવામાં અને તેમને બહાર કાઢવામાં સમય લાગી રહ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે કે અકસ્માત ટ્રકની વધુ ઝડપને કારણે થયો હતો કે પછી રસ્તાની ગંભીર સ્થિતિ જવાબદાર હતી. આ સરહદી વિસ્તારોમાં કામ કરતા કામદારો દરરોજ જોખમી ભૂપ્રદેશ, ખરાબ હવામાન અને સાંકડા રસ્તાઓનો સામનો કરે છે..

આ પણ વાંચોઃ Diwali festival: UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ‘દિવાળી તહેવાર’ સામેલ, PM મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા